IND VS ENG – રવિવારે ભારતની મેચ,પ્લેઇંગ 11માં થશે બદલાવ? આ ખિલાડીને મળી શકે છે તક

By: nationgujarat
28 Oct, 2023

વર્લ્ડ કપમાં જીતના રથ પર સવાર થઈ રહેલી ટીમ ઈન્ડિયા પાસે હવે 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામેની મેચમાં ફેરફાર કરવાની તક છે. ટીમ ઈન્ડિયા આ મેચ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચ માટે કોઈ ફેરફાર કરશે કે કેમ તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.

22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની ઈજા અને શાર્દુલ ઠાકુરના ખરાબ ફોર્મને કારણે મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને તક આપી હતી. પંડ્યા ટીમ ઈન્ડિયાની આવનારી ઘણી મેચોમાંથી બહાર રહી શકે છે.

હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં ગ્રેડ 1 લિગામેન્ટ ફાટી જવાની સંભાવનાને કારણે વર્લ્ડ કપની અન્ય મેચોમાં તેની ભાગીદારી શંકાના દાયરામાં જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે પ્લેઈંગ 11માં જ મેદાનમાં ઉતરે તેવી મોટી સંભાવના છે.

આ દરમિયાન હરભજન સિંહે પણ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11ને લઈને સૂચનો આપ્યા છે. ભજ્જીએ કહ્યું કે લખનૌની ધીમી વિકેટ સ્પિન ફ્રેન્ડલી છે, તેથી ત્રણ સ્પિનરો સાથે જવું જોઈએ.તેણે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની સાથે ટીમમાં રવિચંદ્રન અશ્વિનના સમાવેશનું સમર્થન કર્યું છે. સાથે જ ભજ્જીએ મોહમ્મદ સિરાજને આરામ આપવાનું સૂચન કર્યું છે. આ સિવાય તેણે ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમમાં રાખવાની વાત કરી છે.

ટીમ ઈન્ડિયાએ 6 ઓક્ટોબર 2022ના રોજ એકાના સ્ટેડિયમમાં એકમાત્ર ODI મેચ રમી હતી, જ્યાં ટીમ ઈન્ડિયા 9 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ 40 ઓવરમાં 249 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 240/8 રન બનાવી શકી હતી.


Related Posts

Load more